હિન્દ ન્યુઝ, જસદણ
ગુજરાત સરકારના જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતોના મંત્રી કુંવરજીભાઈ બાવળીયા જસદણ અને વિંછીયા પંથકના પ્રજાજનો હિતાર્થે રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના દેવપરા ગામ તેમજ વિંછીયા તાલુકાના હિંગોળગઢ ગામ નજીક આવેલા ચેકડેમ ઊંડા ઉતારવાના કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું.
આ પ્રસંગે મંત્રીએ કહ્યું હતું કે, ગુજરાતમાં દરેક વ્યક્તિને પૂરતું પાણી મળી રહે તે માટે સતત નવી સિંચાઈ યોજનાઓનો પ્રારંભ કરી, જૂની સિંચાઈ અને પીવાના પાણી માટેની યોજનાઓને નવી પાઈપલાઈન અન્ય સુવિધાઓ સાથે જોડી પાણી પુરવઠાને વધુ સુદૃઢ કરવામાં આવી રહ્યો છે. સાથે જ ભૂગર્ભ જળનું સ્તર પણ જળવાઈ રહે તે માટે તળાવો ચેકડેમને ઊંડા ઉતારવાના કાર્ય થઈ રહ્યા છે. ત્યારે આ બંને ચેકડેમ ઊંડા થતાં આસપાસના ખેડૂતોને આ જળનો વધુ લાભ મળશે.
આ તકે મંત્રીનું સ્વાગત પુષ્પગુચ્છથી કરાયું હતું. સિંચાઈ વિભાગ હેઠળના આ ચેકડેમ ઉંડા ઉતારવાના કામના પ્રારંભે શાસ્ત્રોક્ત વિધિથી ભૂમિપૂજન કર્યું હતું. આ પ્રસંગે પ્રાંત અધિકારી રાજેશ આલ, સ્થાનિક અગ્રણીઓ, સિંચાઈ વિભાગના અધિકારીઓ, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.